દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને ચણાના ઊભા પાકમા લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં અંગેની માર્ગદર્શિકા જૂનાગઢ તેમજ આણંદ કૃષિ યુનિવર્સીટીના નિષ્ણાંતો દ્વારા અપાયેલ સુચનોને આધારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે.
લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે આમ કરવુ
લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ થી ૪૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી. ખેતરમાં વીઘા દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવું અથવા જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીંપા નાખવા જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂદીઓ પાણીમાં પડતા નાશ પામશે. પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા. લીંબોળીનાં મીંજનો ભુકો પ૦૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો કે અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨ થી ૩ છંટકાવ કરવા.
દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી
જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા એક હેક્ટર માટે ૨૫૦ રોગીષ્ટ ઈયળનું દ્રાવણ (એન.પી.વી.) બનાવી ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાયે લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં પ૦ ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ ૧પ દિવસે ફલુબેન્ડીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્ઝોએટ ર ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ ફુગનાશક દવાઓનો જરૂરિયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
આ પણ વાંચોઃ Agriculture News: ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીમાં 5.40 લાખ પશુઓને વિવિધ સારવાર અપાઈ


