ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.તેમના માર્ગદર્શન હેઠળ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે આગામી સમયમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો
પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો નિશ્ચિંત થઈને પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર શરૂ થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે તુવેર માટે ભારત સરકારે રૂ.8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે.બજાર ભાવ કરતા ટેકાનો ભાવ વધુ જાહેર થતા રાજ્યના ખેડૂતોએ તુવેરનું પુષ્કળ વાવેતર કર્યું છે. રાજ્યમાં તુવેરના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા ઉત્પાદનના 100 ટકા જથ્થા મુજબ ખરીદી કરવાનું આયોજન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરી શકશે
વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો આગામી તા.22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટીકેશન અથવા ફેસ ઓથેન્ટીકેશન દ્વારા VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરી શકશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે 2800 કરોડના ચેક અર્પણ કરાયા


