રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ દ્વારા “આત્મા” પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને ખેડુતોને માર્ગદર્શન મળી રહે તે માટે ખેડુતોની તાલીમો પણ યોજવામાં આવે છે. પદ્મશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને તાંત્રિક સહયોગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને વર્ણવી છે, જેને આધારે પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક પદ્ધતિથી માહિતગાર થઈએ.
મિશ્ર પાક પદ્ધતિ માટે અનુકુળ સહજીવી પાકો:-
ઝીરો બજેટ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિમાં સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી મહત્વનું પરિબળ હોય છે. મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધા અથવા ત્રિજા ભાગના સમયમાં તૈયાર થતો હોવો જોઈએ, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો વૈકલ્પિક પાક તેઓ લેવો જોઈએ, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. મુખ્ય પાક એવો હોય કે જેના પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો લોવો જોઈએ જેના પાન વધુ ખરતા હોય. સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો, મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થાય તેવા પાકોનું વાવેતર હિતાવહ છે.
મિશ્ર પાકો માટે પસંદ કરી શકાય તેવા કેટલાક સહજીવી પાકો વિશે જાણીએ.
•ઘઉંની સાથે ચણા, સરસવ, મસુર, ધાણા, વટાણા વગેરે સહજીવી પાકો ઉગાડી શકાય છે.
•કપાસ તેમજ તુવેરના મૂળ ઊંડા જતા હોવાથી મગ અને અડદનો પાક લઈ શકાય છે.
•શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવાની સાથે શેરડીની સાથે મગ અથવા અડદ પણ વાવી શકાય છે.
•દ્વિદળ વર્ગીય પાકોમાં તરબૂચ, ચીભડા, કાકડી વગેરે લઈ શકાય.
•શેરડીમાં હળદર તેમજ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય
•મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો વગેરે મિશ્ર પાક તરીકે લઈ શકીએ.
•મકાઇના પાકમાં આંતરપાક તરીકે તુવેર, સોયાબીન અથવા અડદનું વાવેતર કરી શકાય.
•તુવેરમાં આંતરપાક તરીકે મગ, સોયાબીન અથવા અડદનું વાવેતર કરી શકાય.
•કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતરપાક તરીકે લેવાથી કપાસ કરતાં વધુ નફો મેળવી શકાય.
•મધ્ય ગુજરાતમાં ડાંગર કે બાજરી જેવા વધુ ખાતરની જરૂરિયાતવાળા પાકો બાદ લેવામાં આવેલ ઉનાળુ મગફળીમાં ખાતરની જરૂરિયાત ઘટશે.
•બાજરી અને તુવેરમાં આંતરપાક પદ્ધતિ અપનાવી શકાય.
પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચ, વધારે ઉત્પાદન, પાણીની મોટી બચત
પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, જમીનનું પોષણ અને સંવર્ધન થાય છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થયેલ પાક/ ઉત્પાદનો ઝેરી રસાયણમુક્ત હોય છે. અને આ ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ પણ સારું રહે છે. સારા ભાવ મળતાં ખેડુતોને પણ ફાયદો થાય છે. ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ જમીન, પાક અને ખેડુત તમામ માટે ફાયદાકારક કૃષિપદ્ધતિ બની રહી છે.
આ પણ વાંચો : Porbandar નજીક અરબી સમુદ્રમાંથી કેમિકલ ઝડપવાનો મુદ્દો, 2 ઇરાની શખ્સોની કરી હતી ધરપકડ, જુઓ Video


