ખેડૂતોની આવક વધારવા અને કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્ત્વકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનામાં અરજી કરવાની સમયમર્યાદા હવે નજીક આવી ગઈ છે. સૌર ઊર્જાના ઉપયોગથી સિંચાઈની કિંમત ઘટાડવા અને વધારાની વીજળી વેચીને આવક વધારવા ઈચ્છતા ખેડૂતો માટે આ છેલ્લો મોકો છે. PM KUSUM Yojanaમાં અરજીની અંતિમ તારીખ 15 ડિસેમ્બર, 2025 છે.
યોજનાના મુખ્ય લાભો
PM-KUSUM યોજનાનો મુખ્ય ઉદ્દેશ કૃષિમાં ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવી અને ખેડૂતોને સસ્તી, ભરોસાપાત્ર સૌર ઊર્જા પૂરી પાડવાનો છે.
આ યોજનાના ઘટકો
- ઘટક-A – 500 kW થી 2 MW ક્ષમતાના વિકેન્દ્રિત સૌર ઊર્જા પ્લાન્ટની સ્થાપના (ખેડૂતની જમીન પર) કરવામાં આવે છે. ખેડૂતો વીજળી ડિસ્કોમ (DISCOMs) ને વેચીને નિયમિત આવક મેળવી શકે છે.
- ઘટક-B – 7.5 HP સુધીના સ્ટેન્ડઅલોન (ઓફ-ગ્રિડ) સોલાર કૃષિ પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે. ડીઝલ પંપનો ખર્ચ અને પ્રદૂષણ દૂર થાય છે.
- ઘટક-C – ગ્રિડ સાથે જોડાયેલા પંપોનું સોલારાઈઝેશન (વ્યક્તિગત અથવા ફીડર સ્તરે) કરવા માટે સબસિડી આપવામાં આવે છે. ખેડૂત દિવસ દરમિયાન સૌર ઊર્જાનો ઉપયોગ કરી શકે અને વધારાની વીજળી વેચીને કમાણી કરી શકે.
મળવાપાત્ર સબસિડી
કેન્દ્ર સરકાર દ્વારા યોજનાના ઘટક-B અને C હેઠળ સામાન્ય રીતે 30 ટકા સુધી (અને પૂર્વોત્તર/પહાડી વિસ્તારોમાં 50 ટકા સુધી) સબસિડી આપવામાં આવે છે. બાકીની રકમ ખેડૂત અથવા બેંક લોન દ્વારા પૂરી કરી શકાય છે.
PM KUSUM Yojana માટે પાત્રતા અને અરજી
PM KUSUM Yojanaમાં ભારતીય ખેડૂતો, FPO (ખેડૂત ઉત્પાદક સંગઠન), WUA (જળ વપરાશકર્તા સંઘ) વગેરે અરજી કરી શકે છે. જેમાં ખેડૂત રાજ્યની નોડલ એજન્સીઓ (જેમ કે UPNEDA) ના પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાય છે. ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે, કૃષિને હરિયાળી અને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે આ યોજનાનો લાભ લેવા માટે 15 ડિસેમ્બર 2025 પહેલાં ત્વરિત અરજી કરી લેવી.
આ પણ વાંચો – તમારું ઈ-ચલણ પેન્ડિગ છે? તો સમયસર ભરી દેજો નહીંતર લાઈસન્સ થઈ જશે રદ્દ


