Homeएग्रीकल्चरAgriculture News: છેલ્લા એક વર્ષમાં 1.20 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ...

Agriculture News: છેલ્લા એક વર્ષમાં 1.20 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે.વર્ષ ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીના માધ્યમથી સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલમાં મૂકી હતી.રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ

પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે.છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે.વર્ષ ૨૦૦૫ થી નવેમ્બર-૨૦૨૫ સુધીમાં ગુજરાતના ૧૬.૨૮ લાખથી વધુ ખેડૂતોએ આશરે ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે અને આ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૯૨૨૪.૨૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો રૂ. ૫૭૪૦.૭૧ કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. ૩૪૮૩.૫૬ કરોડ છે.

૧.૨૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી અદ્યતન પદ્ધતિ અપનાવવાની દિશામાં ગુજરાતે હરણફાળ ભરી છે.વર્ષ ૨૦૨૩-૨૪માં આશરે ૧.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો.જ્યારે ગત વર્ષ ૨૦૨૪-૨૫માં પણ આશરે ૧.૨૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો.જે માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂ.૬૦૫.૪૨ કરોડની સહાય આપવામાં આવી છે.જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂ.૩૨૯.૪૨ કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. ૨૭૬ કરોડનો છે.

જળ સંચય અભિયાનને પણ વેગ આપ્યો

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની દૃષ્ટિએ ૪.૮૮ લાખ હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં મોખરે અને ત્યારબાદ, ૧.૮૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય તેમજ ૧.૩૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં રાજ્યના મધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે.રાજ્યના ૮.૯૨ લાખથી વધુ મધ્યમ વર્ગના ખેડૂતોએ ૧૬.૪૨ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે.રાજ્યના ૪.૯૮ લાખથી વધુ નાના ખેડૂતોએ ૫.૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં, ૧.૮૩ લાખથી વધુ સીમાંત ખેડૂતોએ ૧.૨૩ લાખ હેક્ટર વિસ્તારમાં અને ૫૫ હજારથી વધુ મોટા ખેડૂતોએ ૧.૪૯ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને જળ સંચય અભિયાનને પણ વેગ આપ્યો છે.

આટલા હેક્ટરમાં પાકોને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયા

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તાર પૈકી ૨૦.૫૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતી પાકો માટે તેમજ ૪.૫૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બાગાયતી પાકો માટે ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. મુખ્ય ખેતી પાકોમાં મગફળી માટે ૧૧.૦૨ લાખ હેક્ટર, કપાસ માટે ૭.૫૬ લાખ હેક્ટર અને શેરડી માટે ૦.૧૬ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે, બાગાયતી પાકોમાં બટાટા પાક હેઠળ ૨.૨૦ લાખ હેક્ટર, કેળ પાક હેઠળ ૦.૩૪ લાખ હેક્ટર, આંબા પાક હેઠળ ૦.૧૮ લાખ હેક્ટર અને શાકભાજી પાકો હેઠળ ૦.૯૨ લાખ હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે.

આ પણ વાંચોઃ  Anand News: આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા વધુ 1000 ખેડૂતોઓ કરી અરજી

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments