રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબિનની ખરીદી શરૂ કરી છે. પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુએ મુકીને માર્કેટ યાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યું છે. સરકાર કરતાં માર્કેટ યાર્ડમાં ભાવ વધુ મળવાથી ખેડૂતોએ ટેકાના ભાવે સોયાબિનનું વેચાણ કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સોયાબીનના ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળ્યો
આ વર્ષે સારું વરસાદ થતાં સોયાબીનના ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. જેથી સરકારી ટેકાના ભાવે ગત 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોને સરકારી ટેકાના ભાવે વેચવા કરતા માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે.
દરરોજ પાંચથી છ હજાર કટ્ટાની સોયાબીનની આવક
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ પાંચથી છ હજાર કટ્ટાની સોયાબીનની આવક થાય છે. જેમાં અત્યાર સુધીમાં એક લાખ કરતા પણ વધુ કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે. સતત આવકથી ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. સારી ગુણવત્તા પ્રમાણે 850થી 1000 રૂપિયા સોયાબીનનો ભાવ ખેડૂતોને મળે છે. તેમજ પ્રીમિયમ ક્વોલીટીના દેશી સોયાબીનના ભાવ 1000 થી લઈને 1200 સુધીના ખેડૂતોને ઉપજે છે તેમજ બીજ કેટેગરીમાં આવતા સોયાબીનના ભાવ પણ 1150થી લઈને 1250 સુધી ખેડૂતોને મળતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે.
ટેકાના ભાવે ખરીદી માટે 20300 ખેડૂતોએ નામ નોંધાવ્યા
બીજી તરફ સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી માટે 20300 ખેડૂતોએ નામ નોંધાવ્યા હતા.જેમાંથી દરરોજ ખેડૂતોને એસ.એમ.એસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3000 ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે. જેમાંથી 1200 ખેડૂતો સોયાબીન વેચવા માટે આવ્યા છે. 10 ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે. જેની સામે 240 ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.આમ ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતોમાં નિરસતા દેખાઈ રહી છે અને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો વેપારીઓને માલ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ Aravalli News: શામળાજીની અણસોલ બોર્ડર પરથી કારના બોનેટમાં છુપાવેલી એક કરોડની રોકડ ઝડપાઈ, એક વ્યક્તિની અટકાયત


